જામનગર જિલ્લામાં હીટવેવને અનુલક્ષીને સલામતીના સૂચનો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર 

 ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા આગામી સમયમાં સૌરાષ્ટ્ર સહિત જામનગર જિલ્લામાં હીટવેવની આગાહી જારી કરવામાં આવી છે. હીટવેવ દરમિયાન અને આગામી ગરમીના દિવસોમાં લૂની અસરથી બચવા માટે જામનગર જિલ્લાના તમામ નાગરિકો માટે રક્ષણાત્મક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાંં જણાવ્યા અનુસાર હીટવેવ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. શરીર અને માથું ઢાંકીને રાખવું, સફેદ રંગના અને ખુલ્લા વસ્ત્રો પહેરવા જોઈએ. છત્રીનો ઉપયોગ કરવો, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધ નાગરિકો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ.

આ ઉપરાંત સીધા સુર્યપ્રકાશથી બચવું જોઈએ. વારંવાર ઠંડુ પાણી, લીંબુ શરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ-મીઠાનું દ્રાવણ અને ઓ.આર.એસ.લીકવીડ પૂરતા પ્રમાણમાં પીવા જોઈએ. બાળકો માટે કેસુડાના ફૂલ અને લીમડાના પાનનો સ્નાન માટેના પાણીમાં ઉપયોગ કરવો જોઈએ. શરીરનું તાપમાન નીચું આવે ત્યારે જ સ્નાન કરવું જોઈએ. છાંયડામાં રહેવું, બજારનો ખુલ્લો ખોરાક ના ખાવો અને બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ન કરવો જોઈએ. દૂધ અને માવામાંથી બનેલી ફૂડ આઈટેમ્સ, ચા-કોફી અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરના 2 થી 4 કલાક સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ગરમીના દિવસોમાં માથાનો દુઃખાવો, પગની પીંડીઓમાં દુઃખાવો, શરીરનું તાપમાન ખુબ વધી જવું, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલટી-ઉબકા થવા, ચક્કર આવવા, આંખે અંધારા આવી જવા, બેભાન થઈ જવું, મૂંઝવણ થવી અને અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ લૂ લાગવાના મુખ્ય લક્ષણો છે. ગરમીની મોસમ દરમિયાન સારું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત પીવું જોઈએ. રાત્રિ દરમિયાન કાળી દ્રાક્ષનું સેવન કરવું અને દિવસ દરમિયાન તરબૂચનું સેવન કરવું જોઈએ.

લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર કે 108 સેવાનો સંપર્ક સાધવો જોઈએ. અઘટિત બનાવ બને તો જામનગર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ફોન નંબર 0288-2553404 પર સંપર્ક સાધી શકાશે. તેમ નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

Related posts

Leave a Comment